Nursery
In this department, students of horticulture as their special subject have a direct relationship with the experiments of the conservation regarding grafting, saplings, seed bed of mother plants, farming of vegetables, flowers and hydroponics. Flower plants, fruit-bearing tree plants and the guidance have been provided to the needy surrounding people, by this department. The experiments of vegetables in Green House and Net House are carried out.
ખુદાના નેક બંદા : ઈસ્માઈલ દાદા
("સ્વાતંત્ર સેનાની, વનસ્પતિ જગતના મસીહા,
કૃષિ વિજ્ઞાનના નિષ્ણાંત,
ભોળા ગ્રામજનોના સહાયક તથા માર્ગદર્શક,
વિદ્યાર્થીઓના ગરવા ગુરુવર્ય, અનાસક્ત સમાજસેવક,
હસતા ફિલસૂફ, ઈસ્લામ અને હિન્દુત્વનો સમન્વય કરનારા,
સમભાવભર્યા આચરણથી સમાજમાં પ્રકાશ પાથરનારા,
વીરલ ઓલિયા સમા નૂતન સૌરાષ્ટ્રના સપૂત, નાગોરી પરિવારના દિપક, એવા ખુદાના નેક બંદા તથા વિશ્વ શાંતિ સેનાની સમા દાદા( શ્રી ઈસ્માઈલભાઈ આલમભાઈ નાગોરી )
અહીં ચીર સમાધિમાં પોઢયા છે. એ દાદા ને શત શત ભાવવંદના....)
- શ્રી ઈસ્માઈલ દાદા સ્મારક સમિતિ મુ.પો. તરવડા, તા./જિ. અમરેલી.
ઉપરોક્ત પ્રશસ્તિ જેમની મઝાર પર લખાણી છે અને તેનું અનાવરણ, ગાંધીજી જેને બાબલો કહેતા એ શ્રી નારાયણભાઈ દેસાઈના હસ્તે ૨૦મી જૂન, ૨૦૦૪ના રોજ થયું, એવા ઈસ્માઈલ દાદાનો જન્મ તા.૪-૧૧-૧૯૦૪ ના રોજ વાંકાનેરમાં થયેલો. માતૃ-પિતૃ બંને પક્ષેથી સંસ્કાર અને શિક્ષણનો ઉજ્જવળ વારસો પામેલા ઈસ્માઈલભાઈ બાઉદ્દીન કૉલેજ જુનાગઢમાંથી અરબી-ફારસીનાં સ્નાતક થયા, આથી ઉર્દુ ફારસીની નજાકત અને માધુર્ય બોલવા લખવામાં જિંદગીભર જળવાયા.
પરંતુ એ દેશકાળ જુદો હતો. સ્વાતંત્ર સંગ્રામના વાદળોથી એ સમયનું રાષ્ટ્રીય અવકાશ ગોરંભાયેલું રહેતું. મહાત્માજીનું સર્વસ્વ હોમવાનું આહવાન યુવાનો હોંશે હોંશે ઝીલવા હરીફાઈમાં ઉતરેલા. આવા સમયમાં ઈસ્માઈલ દાદા જેવા સંવેદનશીલ યુવાન કેમ અસ્પૃશ્ય રહે? એ યુવાન પણ ગ્રામસેવાના રચનાત્મક કાર્યો કરવા થનગની રહ્યો હતો પણ કાવ્યો અને સાહિત્યથી તો એ કેમ સંભવે? એની મીઠી મૂંઝવણ એ અનુભવે. પ્રેરણાની કોઈક વિરલક્ષણે નિર્ણય લેવાઇ ગયો કે ગ્રામ સમાજની વચ્ચે રહેવા, કામ કરવા અને તેને ઉપયોગી થવા કૃષિના સ્નાતક થવું. પુનાની ખેતીવાડી કૉલેજમાં પ્રવેશ મેળવીને એકડે એકથી ભણવાનું શરૂ કર્યું.
એમની વિષય પ્રત્યેની ભક્તિ, વિદ્યાવ્યાસંગ કેવા હતા એ એમની એક વાતમાંથી આપણે પામી શકીએ.
તેઓ કહેતા "હું ભણતો ત્યારે ક્યારેય પરીક્ષાની તૈયારી કરી નથી. કૉલેજમાં જઈને નોટિસ બોર્ડમાં જોઈ લઉં કે આજે કયા વિષયનું પેપર છે? પોતાના વિષય તો કાયમ તૈયાર જ હોય ને!! આખું વર્ષ ભણ્યા હોઈએ, એ વિષયને પ્રેમ કર્યો હોય પછી તેમાં છેલ્લે તૈયારી શી કરવાની?"
આવા વિદ્યાના ઉપાસક દાદાએ અભ્યાસ માટે વાંકાનેર રાજ્યની સરકારી, શરતી શિષ્યવૃત્તિ લીધેલી, તેથી રાજ્યની ખેતીવાડી ખાતાની ઊંચી, મોભાદાર નોકરી સ્વીકારી.(૧૯૩૦ થી ૧૯૩૫ સુધી ) પણ એમ મોભાદાર નોકરી જ કરવી હોત તો એકડે એક થી ફરીથી ભણવાની ક્યાં જરૂર હતી?
ઈસ્માઈલદાદાનું પોત કંઈક જુદું જ હતું. નોકરી છોડી દીધી. રતુભાઈ અદાણી જેવા રચનાત્મક કાર્યકર મિત્રો જયાં કામ કરતા હતા એવા ખોબા જેવડા ગામ તરવડા( જિ. અમરેલી ) ગામે પલાંઠી વાળી.
એક સ્વાવલંબી ખેડૂત તરીકેનું જીવન જીવવું હતું તેથી પત્નીના ઘરેણાં અને વડીલોપાર્જીત મિલકત વેચી ને જમીન ખરીદી અને ધરતીપુત્ર થવામાં જીવનની સાર્થકતા અનુભવી.
તરવડાની ગ્રામસેવા એમની પૂર્ણ કક્ષાની હતી. ખેતી ગોપાલનના જ્ઞાતા તરીકે તો લોકોને માર્ગદર્શન આપતા જ, આ ઉપરાંત અસ્પૃશ્યતા, બેકારી, શિક્ષણનો અભાવ, આરોગ્ય, દીકરા-દીકરીના વાંધાવચકા જેવી સામાજિક સમસ્યાઓ, આ બધું એમની સામે આવતું એ સઘળું સ્વીકારતા. રસ્તો કાઢતા, સમજાવતા.
શોખને કારણે સ્વયંભૂરીતે આયુર્વેદના નિષ્ણાંત બન્યા. તરવડા અને આજુબાજુના લોકો એમની વૈદકીય સેવાના લાભાર્થી બન્યા. બીમાર વ્યક્તિને દવા તો આપે પણ સાથે મધની વાટકી પણ આપે જેથી દવાની ત્વરિત, ધારી અસર થાય. બસ સામેનાની પીડા ઓછી થાય એ જ એમનો મુખ્ય ભાવ.
એક વખત એક માણસ દોડતો દોડતો આવીને કહે: 'દાદા દર્દીને જોઈ દયો ને'
દાદા એ પૂછ્યું: 'પણ દર્દી છે ક્યાં?'
'દર્દીને ગાડામાં હુંવડાવીને ગાડું શેત્રુંજીના સામે કાંઠે રાખ્યું છે'. પેલાએ કહ્યું
'ગાડું નદીને કાંઠે કેમ રાખ્યું છે?' દાદાએ નવાઈ પામતા પૂછ્યું.
'નદીની રેતમાં ગાડું હાકું તો બળદને બૌ આલ આવે એટલે ગાડું સામે કાંઠે ઊભું રાખ્યું છે.' પેલાએ કહ્યું.
દાદા માત્ર હસ્યાં.
ચાલતા સામે કાંઠે ગયા દર્દીને તપાસી ને દવા આપીને પાછા ચાલતા આવ્યા.
આવી જ રીતે એક વખત મધ્યરાત્રીએ એકવાર પોતાના ઘરના સભ્યને ખૂબ તાવ આવેલો એટલે એક ભાઈ બોલાવવા આવેલા. ભાઈને દાદાએ રાહત થાય એવી દવા આપીને કહ્યું કે હું સવારે જોવા આવીશ.
'ઈસ્માઈલ તમે આપણા સલીમને તાવ આવે તો સવાર સુધી રાહ જુઓ ખરા?' દાદાના પત્ની ખદીજાબાએ દાદાને વૈદ્યધર્મ આ એક વાક્યમાં સમજાવતાં પૂછ્યું.
ખરે જ દાદા ચપ્પલ પહેરીને પેલા ભાઈ સાથે ગયા.
લોકસેવા કે આરોગ્ય સેવા તો એમના ગ્રામનિવાસનો પરિપાક હતો પણ એમનું ખરું પોત તો વનસ્પતિ જીવનના આરાધકનું હતું.
તુલસીદાસજીએ વૃંદાવન ખાતે શ્રી કૃષ્ણની મૂર્તિ જોઈને કહેલું: "તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ્ય લિયો હાથ."
કહે છે કે એ કૃષ્ણમૂર્તિએ રામ સ્વરૂપે તુલસીદાસજીને દર્શન આપેલા.
લોકભારતીના પૂર્વ આચાર્ય મનસુખભાઈ સલ્લાએ નોંધ્યું છે કે જો ઈશ્વર ઈસ્માઈલદાદા ને પૂછે કે બોલ બેટા હું કયા સ્વરૂપે તારી સામે પ્રગટ થાઉં?
તો ક્ષણનો પણ વિલંબ કર્યા વિના દાદા તો કહેવાના કે વનસ્પતિ રૂપે. હું સલ્લાભાઈ કરતા વિશેષ શ્રદ્ધા સાથે કહેવા તૈયાર છું કે ઈશ્વર જરૂર દાદા સામે વનસ્પતિરૂપે આવ્યા હશે!!
આવો એમનો વનસ્પતિ પ્રેમ.
ઈ.સ.૧૯૫૩માં સ્થાપના કાળે તો લોકભારતી કેવળ આવળીયાટ, ધોળા દિવસે પણ જતા બીક લાગે એવી અવાવરૂ જગ્યા હતી.
આજે લત્તામંડપો, ફળોથી લચી પડતા બાગ, બાલમંદિરના ભૂલકાંની જેમ ગેલ કરતા ફૂલછોડથી લોકભારતી રળિયામણી લાગે છે એમાં ઈસ્માઈલદાદાનો ફાળો સૌથી મોટો છે. આવનાર હરકોઈ આગંતુકને લોકભારતીનું આકર્ષણ થાય છે તેમાં તેનું પ્રાકૃતિક ભાવાવરણ પણ જવાબદાર છે.
વૃક્ષ, છોડ વગેરે એમની આગવી દુનિયા હતી. એ છોડ સાથેની એમની વાતો, પરિવારના કોઈ વડીલના, ઘરના સભ્યો સાથેના વાર્તાલાપની કક્ષાએ પહોંચતી.
એક વખત લોકભારતીના વિદ્યાર્થીઓએ દાંડીયારાસ માટે કચનારના વૃક્ષની ડાળીઓ કાપી ને દાંડિયા બનાવ્યા. એમાં વિદ્યાર્થીઓએ સાવધાની કે કાળજી નહીં રાખેલી એટલે વૃક્ષ વિરુપ બનેલું.
ઈસ્માઇલ દાદા ત્યાંથી પસાર થતા એમણે ચામડીઉતાર પીડા અનુભવી. મુખ્ય ગૃહપતિની રજા લઈને તેઓએ સારસ્વત ભવનમાં સાયં પ્રાર્થના પછી વિદ્યાર્થી સામે તરડાયેલા અવાજે કહ્યું:...
"મારા પ્યારા બચ્ચાઓ, તમને શું કહું... તમે ડાંડીયા માટે કચનાર ને આવી ખરાબ રીતે વેડી નાખ્યું.... તમને જરાય વિચાર ન આવ્યો... તમારે એને બદલે મારા હાથ કાપવા હતા ને.... આ કામ તો બુચરનું કહેવાય.... અરે..રે બચ્ચાઓ મેં તમને શું કહી દીધું.. તમને બુચર ન જ કહેવાય... મારા બચ્ચાઓ વનસ્પતિને પણ જીવ છે, એને ચાહો, એને વિરુપ ન કરો..."
આટલું બોલતા તો દાદાના આંસુઓ ગાલની સરહદે આવી ચૂકેલા. વિદ્યાર્થીઓની પણ આંખો ભીની થઈ. આ ઘટનાનું પુનરાવર્તન પછી ક્યારેય ન થયું.
"ગુરુસ્તુ મૌનમ વ્યાખ્યાનમ" તે આ.
ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે જે સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું એ સિદ્ધાંતને દાદા જીવ્યા છે એમ કહેવામાં જરા પણ ખોટું નથી જ!
વનસ્પતિ વિજ્ઞાન અને ખેતી ગોપાલન અંગે ઈસ્માઈલદાદાનું જ્ઞાન કેવું અગાધ હતું?
'ગામડે કામ કરો' એવા ગાંધીના આદેશથી નાનાભાઈ ભટ્ટ ગ્રામ દક્ષિણામૂર્તિ - આંબલામાં ગ્રામશિક્ષણ માટે બેઠા. સાથે મનુભાઈ પંચોળી 'દર્શક', મૂળશંકરભાઈ ભટ્ટ, ન. પ્ર.બુચ વગેરે પણ જોડાયા. આ બધામાંથી કોઈને ખેતીનું જ્ઞાન નહીં. ગામડામાં કામ કરવું અને ખેતીનું અજ્ઞાન એ તો કેમ પોસાય? એટલે ખેતી શીખવા માટે મનુભાઈ પંચોળીએ ઈસ્માઈલ દાદાને ગુરુ કર્યા.
છ મહિના તરવડા રહીને પ્રત્યક્ષ ખેતીકામ શીખ્યા. મનુદાદાએ આ છ મહિનાના સ્મરણો 'સદ્દ ભી સંગ' પુસ્તકમાં લખ્યા છે. મનુભાઈએ લખ્યું છે કે પોતે ત્રણ કલાક ખેતરમાં કામ કરતા અને સાત કલાક ઈસ્માઇલ દાદા પાસે ભણતા. કેવો અદભુત સંયોગ!! ગુરુ શિષ્ય બંને અસામાન્ય.
મનુદાદા કહેતા ઈસ્માઇલ દાદા જેવા ગુરુ દુર્લભ છે તો ઈસ્માઈલ દાદા કહેતા કે મનુભાઈ જેવો શિષ્ય મને બીજો મળ્યો નથી!
મનુદાદા ખેતીનું સર્વાંગી જ્ઞાન દાદા પાસેથી શીખ્યા. આજે આંબલા, મણાર, લોકભારતી અને માયધારની ખેતી અને કેમ્પસ ફળોથી લચી પડતા બાગથી શોભે છે એના પાયામાં ઈસ્માઈલ દાદા તરફથી મનુદાદાને મળેલી કૃષિ દીક્ષા છે.
'ઝેર તો પીધા છે જાણી જાણી' માં દર્શકે ગોપાળ બાપા ની વાડી સર્જી છે એ પણ ઈસ્માઈલદાદા તરફથી મળેલી દ્રષ્ટિનું જ ફળ છે.
ઈસ્માઈલ દાદાના પુસ્તક 'વનસ્પતિ જીવનદર્શન' ને આવકારતા કાકાસાહેબ આ પુસ્તકને વનસ્પતિ જગતની ભગવદ ગીતા કહે છે એ સર્વથા સાર્થક છે.
આપણું તો કોણ સાંભળે? બાકી આ પુસ્તકના અધ્યયન વિના કૃષિ શાસ્ત્ર કે વનસ્પતિ શાસ્ત્ર માં કોઈને સ્નાતકની પદવી ન જ મળવી જોઈએ.
દાદા પાસે ગદ્યનું અદ્ભુત સૌંદર્ય હતું. અભિવ્યક્તિની નજાકત, સૌંદર્ય અને માર્મિકતા એમને કલમવગા હતાં. ઉર્દુ, અરબી, હિન્દી, સંસ્કૃત ભાષાનું લાલિત્ય તેમાં ભારોભાર ઉતર્યું છે.
'વનસ્પતિ જીવનદર્શન' અને 'વાડી પરના વહાલા' એ બે પુસ્તકોમાં વાચક આ બધું અનુભવી શકે એમ છે.
નવમા ધોરણના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં 'વાડી પરના વ્હાલા' પુસ્તકનો અંશ સ્થાન પામ્યો છે એ પણ આજના પર્યાવરણના જતન માટે તાતી જરૂરિયાત જોતા સુયોગ ગણાય.
વનસ્પતિના જીવનદર્શન માં ડોકયુ કરનાર દાદાને ધર્મ અને પોતાના જીવનદર્શનનુ દર્શન પણ અદભૂત હતું!! એમનું આ પાસું "મુસલમાનનો ધર્મ" અને "મારું ઈસ્લામ દર્શન" એ પુસ્તકોમાં દૃષ્ટિગોચર થાય છે.
દાદાની આધ્યાત્મિક ઊંચાઈ એવી કે ધર્મ પ્રત્યે સમત્વ એમને સહજ સિદ્ધ બનેલું. ભેદની ભીત્યુંને ભાંગીને એમને એટલી સમરસતા કેળવેલી કે હિન્દુ એમને મુસ્લિમ ગણે અને મુસ્લિમો હિન્દુ ગણે. એમના દીકરા દીકરીઓના સગાઈ પ્રસંગે એમના આ સહજ ગુણે સમસ્યા ઉભી કરેલી.
ઈસ્માઈલ દાદાનું સદ્દભાગ્ય એ ગણાય કે એમને ખતીજાબા જેવા સહધર્મચારણી મળ્યા. 'સદ્દ ભી સંગ'માં દર્શકદાદા ઈસ્માઈલદાદાની વંદના કરતા એ મૂંઝવણ અનુભવે છે કે કોના વખાણ કરવા ચાંદના કે ચાંદનીના?
ઈસ્માઈલ દાદાના સ્નેહસંબંધનો પથારો મોટો. ઘરની સાધારણ સ્થિતિમાં પણ ઘર મહેમાનોથી ભરેલું રહેતું. આવા સમયે વિદુરની ભાજીથી પણ ખતીજાબા સ્નેહપૂર્વક યજમાનપદ શોભાવતા.
વાંકાનેરનું સુખ- સગવડભર્યું જીવન પતિના સ્વાવલંબન જીવનની ઘેલછાથી છોડ્યું. દાદાની સાથે તેઓ પણ ગ્રામસમાજના અભિન્ન અંગ બન્યા. સેવામાં પલોટાયા.
જાણે સ્નેહ, સેવાની સરવાણી વહેવડાવવા માં પતિ-પત્નીમાં હોડ લાગેલી!! આવા ગૃહસ્થ દંપતીને શ્રદ્ધા સુમન....